अव्यावृतभजनात् ।। ३६ ।।
અવ્યાવૃત ભજનથી ભક્તિ પ્રાપ્ત થાય છે.
વિષયત્યાગ અને સંગત્યાગ એ બન્ને ત્યાગવાળી વાત કરી, હવે જે કરવાનું છે તેને કહે છે.
અ+વિ+આવૃત આવૃત એટલે ઢાંકેલું અને વ્યાવૃત એટલે ખુલ્લુ વળી પાછું આવ્યવૃત એટલે ઢાંકેલું.-ગુપ્ત અંહિ બે વાર નિષેધ અને એકવાર વિધિ પણ બતાવવામાં આવ્યો છે તેનો અભિપ્રાય એ છે કે હું ભજન કરું છું એવું જાહેર કરવું નહિ, બહુ દેખાડો કરવો નહિ. એવી રીતે ગુપ્ત ભજન કરવાથી પોતાના હૃદય ઉપર તે ભજનનો વધારે પ્રભાવ પડે છે તેના અંતરના રાગ ઓછા થાય છે અને નાશ પામી જાય છે. છતાં પણ કોઈ દેખી જવાની બીકે ભજન બંધ કરી દેવું કે ભજન કરવામાં કોઈની લાજ શરમ ન રાખવી એવું પણ બે નિષેધનો અભિપ્રાય છે બીજી જગ્યાએ-ભોગ આદિકમાં લાજ શરમ રાખવી જોઈએ ત્યાં આ જીવ રાખતો નથી પરંતુ ભજન કરવામાં લાજ શરમ રાખે છે તેવી લાજ શરમ ભજનમાં રાખવાની જરૂર નથી ભજન અવ્યાવૃત-ખુલ્લે ખુલ્લુ કરવું. વળી વ્યાવૃતનો એક
અર્થ એવો પણ થાય છે કે પાછા વળવું માટે આ સૂત્રનો એવો અર્થ થાય છે કે ભજનથી ક્યારેય કોઈ પણ સંજોગોમાં પ્રહલાદની જેમ પાછા ન વળવાનો નિર્ણય રાખવો નિરંતર ભજન કરતા રહેવું તો તેને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે.
અથવા તો અંહિ ભજનનો અર્થ “ભગવાનનું સ્મરણ” એવો લેવાનો છે. અખંડ પણે ભગવાનનું સ્મરણ કરવાથી ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે ભગવાનનું નામ, રૂપ, ગુણ આદિકનું અખંડ સ્મરણ કરવું એવો અર્થ અંહિ લેવો.
स्मरणं धारणं ध्यानं ध्रुवानुस्मृतिरेव च ।
समाधिरिति भेदाः स्युः स्मरणस्यैव पञ्चधा ।।
સ્મરણ, ધારણા, ધ્યાન, અખંડ સ્મૃતિ અને સમાધિ આ પાંચ સ્મરણના પ્રકાર છે કોઇ પણ પ્રકારે ભગવાનને યાદ કરવા કે સ્મૃતિ કરવી તેને સ્મરણ કહેવાય છે.
ચારે બાજુ વિખેરાયેલા મન ને ખેંચીને એક મૂર્તિમાં રાખવું તેને ધારણા કહેવાય છે તેમાં નિરંતરતા આવે તેને ધ્યાન કહેવાય છે સ્વાભાવિક પણે જ મન ભગવાનમાં જ લાગ્યુ રહે તો તેને અખંડ સ્મૃતિ કહેવાય. ભગવાન સિવાય બાહ્ય-તમામને ભૂલી જઈને એક માત્ર ભગવાનને જ યાદ કરવા તેમાં નિરોધ કરવો તેને સમાધિ કહેવાય છે. તેમાં પ્રથમ ત્રણ સ્મરણ, ધારણા અને ધ્યાન તેને સાધન ગણવામાં આવે છે અને છેલ્લા બે-અખંડ સ્મૃતિ અને અમાધિ-તેને સાધ્ય ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે શ્રવણ અને કિર્તન આગળના સૂત્રથી કહેશે.
માતા-પિતાથી મળેલું આ શરીર ભોજનથી પુષ્ટ થાય છે જ્યારે ગુરુએ આપેલો સાધના દેહ નિત્યકુમાર છે તે ભગવાનના ભજનથી પુષ્ટ થાય છે.
સામાન્ય માણસને સંસારથી પુરો વૈરાગ્ય નથી અને ભગવાનમાં પુરો પ્રેમ નથી જાગ્યો એવી અવસ્થામાં ભગવાનની ભક્તિ કેમ કહેવાય? તેનો ઉપાય હવે સૂત્રમાં બતાવે છે.