શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૨૩

तद्विहीनं जाराणामिव ।।२३।।

તે મહાત્મ્ય જ્ઞાન રહિત જે પ્રેમ હોય છે તે જાર પ્રેમ છે-કામીને સમાન પ્રેમ છે. (સાચી ભક્તિ નથી.)

મહાત્મ્ય જ્ઞાન વિના પણ અવતાર કાળમાં ભગવાન ને પ્રેમ થઈ જાય તો તેનું પરમ મંગલ થઈ જાય છે. તો પછી મહાત્મ્ય જ્ઞાનની વિસ્મૃતિને કલંક શા માટે ગણવું જોઈએ? અને ગોપીઓમાં તો મહાત્મ્ય જ્ઞાન હતું તેનું શું મહત્વ છે તેનો ઉત્તર આ સૂત્રથી આપે છે.

મહાત્મ્ય જ્ઞાન નહી હોય તો પ્રેમ ઈન્દ્રિયોપલબ્ધિના આધાર પર થઈ રહેશે. ત્યારે તે કેવળ કામાત્મિકા બની રહેશે.અને તેમાં જ્યારે ભોગ પ્રાપ્ત થશે ત્યારે તે જર થઈ જશે. જીર્ણ થઈ જશે. જર્જરિત થઈ જશે. ભોગ ભોક્તાને ખતમ કરીને જ રહે છે જ્યારે ભક્તિમાં તો નવ ચેતના પમાય છે તે સંજીવની ઔષધી છે. ભોગથી જર્જરિત થયેલાને પણ નવ પલ્લવિત કરી દેનારી છે. ગોપીઓમાં તો સાચો પ્રેમ હતો. જાર પ્રેમ ન હતો.

અંહિ એક શંકા કરવામા આવે છે કે ગોપીઓનો પ્રેમ ભગવાનમાં કામ બુધ્ધિથી હતો. ભગવાનની બુધ્ધિથી ન હતો. ભાગવતમાં કહેવામાં પણ આવ્યું છે કે તેઓ ‘कृष्णं विदुः परं कान्तम्’ વળી એવું પણ કહેવામાં આવ્યું છે કે ‘गोप्यः कामात् भयात् कंस:’ માટે ગોપીઓ ભગવાનમાં જારબુધ્ધિથી જોડાણી હતી. વળી પરિક્ષીતે જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે ગોપીઓની કામ બુધ્ધિનું ખંડન કર્યુ નથી પણ કેવળ ભગવાનની ભગવત્તા પ્રતિપાદન કરી છે. તો તેમનું સમાધાન એમ છે કે ગોપીઓ કોઈ એક ગોપી(વ્યક્તિ) નથી. ગોપી-જુથ છે તેમાં અનેક પ્રકાર છે. તેમાં કેટલીક ગોપીઓ ઋષિ રૂપા છે, કેટલીક શ્રૃતિરૂપા છે, કેટલીક ગોલોકથી ભગવાન સાથે આવેલી નિત્ય સાથી રૂપા છે અને કેટલીક વરપ્રાપ્તા છે જેઓએ ભગવાનને પતિ તરીકે પામવા માટે બ્રહ્માજી ઉપર તપ કરી બ્રહ્માજી પાસે થી વરદાન મેળવ્યું હતું. નારદજી પાસેથી વરદાન તથા બીજા ઋષિઓની પ્રસન્નતા-વરદાન પામેલી હતી અને કેટલીક આ ગોપીઓનું અનુગમન કરનારી હતી. તેથી તેમાંથી કેટલાક ગોપી પરમાત્માના મહાત્મ્ય જ્ઞાનથી રહિત પણ હતી. તેને અધિક બંધન થવાથી તેઓ રાસમાં પ્રવેશ કરી શકી ન હતી માટે તેમણે શરીર છોડીને રાસમાં પ્રવેશ કરવો પડ્યો હતો. શ્રીજી મહારાજે પણ ગોપીઓમાં મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એવો ભેદ બતાવ્યો છે ને તેને અનુસારે તેઓના વચનો શાસ્ત્રમાં બતાવ્યા હોય છે માટે ગોપીઓએ કામ બુધ્ધિથી ભગવાનમાં પ્રેમ કર્યો હતો. એવું કહેવામાં આવે છે અથવા શાસ્ત્રમાં લખાયું છે કે જે ગોપીઓના વચનો અથવા ચેષ્ટાઓમાં તેવું દેખાય છે તે પણ લૌકિક કામ ન હતો. કારણ કે તે ચેષ્ટાઓનું આલંબન પરમાત્માનું સ્વરૂપ-મંગલ મૂર્તિ હતું. લૌકિક કામના પ્રાકૃત પાણીઓના શરીર આલંબન વાળી હોય છે જે નિશ્ચય નરકને પમાડનારી હોય છે પરંતુ ગોપીના કામનો વિષય પરમાત્માં પોતેજ હતા. તેથી લૌકિક કામ જેવી જણાતી ચેષ્ટાઓમાં પણ ભગવાનના સ્વરૂપ મહિમાના પ્રતાપે તેમાંથી કામના ભસિમિભૂત થઈને તે દિવ્ય પ્રેમમાં પરિણતી પામી ગઈ હતી. તેથી શરૂઆતમાં કામની છાયા જણાય છે પણ પરમાત્માનો સંબંધ થતાજ તે કામના બળી જઈને, જોગી, જતિ, સન્યાસીઓ અને મુક્તોને પણ ગાન કરવા જેવો દિવ્ય પ્રેમ બની ગયો. તેથી વ્યાસ ભગવાને તેમને ‘निवृततर्षेः उपगीयमानत्…’ એવા શબ્દોથી તે લીલાને વર્ણવી છે માટે તેમાં કામ હતો જ નહીં. એમ જણાવવામાં આવ્યું છે. કામ અને પ્રેમમાં વિષયની પરમ વિલક્ષણતા હોય છે અને ઉપરની છાયા એક જેવી દેખાતી હોય છે પરમાત્મા વિષય હોય ત્યારે તે પ્રેમ બની જાય છે અને વિજાતીય શરીર માત્ર વિષય હોય ત્યારે કામના બની જાય છે. પ્રેમ અને કામ ની વિલક્ષણતા સ્પષ્ટ કરતા નારદજી આગળનું સૂત્ર બતાવી રહ્યા છે.