ગીતા અધ્યાય-૦૨, શ્લોક ૦૧ થી ૧૦

અર્જુનની કાયરતાના વિષયમાં શ્રીકૃષ્ણાર્જુન સંવાદ

સંજય બોલ્યા

तं तथा कृपयाविष्टमश्रुपूर्णाकुलेक्षणम्‌।
विषीदन्तमिदं वाक्यमुवाच मधुसूदन:।।१।।

અર્થઃ આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું.

પ્રથમ અધ્યાયના અંતમાં ધૃતરાષ્ટ્રે સંજયના મુખથી સાંભળ્યું કે, અર્જુને ધનુષ્યબાણ ફેંકી દીધાં અને ‘લડાઈ નહિ કરું.’ એમ કહીને રથમાં બેસી ગયો. એ સાંભળી ધૃતરાષ્ટ્ર ખૂબ રાજી થયા; પરંતુ સંજય તેમને આગળ કહેવા લાગ્યા કે, ભગવાને તેને આ પ્રમાણે વાક્ય કહ્યું. સંજયે ભગવાનનું નામ મધુસૂદન એમ કહ્યું. ભગવાન મધુસૂદન છે. મધુ નામના દૈત્યને મારનાર છે. તમારો પુત્ર પણ આસુરી સંપત્તિનો હોવાથી તેમનો જરૂર નાશ કરશે જ. એમ કહી ધૃતરાષ્ટ્રનો આનંદ ટાળી નાખ્યો.

कृपया विष्टम्‌=અહીં કૃપાને કર્ત્રી બનાવી છે. કૃપા સ્વયં અર્જુન પર સવાર થઈ છે. અર્જુન કર્મ છે. તેથી એ સૂચિત થાય છે કે, કૃપા એ અર્જુનનો સ્વાભાવિક ગુણ છે; પરંતુ આગંતુક નથી. માણસની સ્વાભાવિક પ્રકૃતિ જે હોય એ જ એને સંકટ સમયે ઘેરી લે છે. બીજા ગુણો નહિ. આ અંગે એક દૃષ્ટાંત પ્રસ્તુત છે. એક માણસ ઘણી ભાષા જાણતો હતો. રાજાને કહ્યું મારી માતૃભાષા શોધી દો. કોઈને તેની માતૃભાષાની ખબર ન પડી. રાજાનો પ્રધાન ચતુર હતો. તેણે પેલા માણસને વાંસામાં જોરથી પાટું માર્યું. તેનાથી પોતાની ગુજરાતી ભાષામાં બૂમ પડાઈ ગઈ. પ્રધાન સમજી ગયા કે એની ભાષા ગુજરાતી છે. આ શબ્દ જ અર્જુનની માનસિક સ્થિતિનો સૂચક છે.

अश्रुपूर्णाकुलेक्षणम्‌-અર્જુન જેવા શૂરવીરને પણ નેત્રોમાં આંસુ ભરાઈ આવ્યાં છે. આંસું પણ એટલાં ભરાઈ આવ્યાં છે કે, કશું દેખાતું નથી. આ શબ્દથી અર્જુનનો શારીરિક વિષાદ પ્રગટ થાય છે.

विषीदन्तम्‌-વિશેષ ખેદ પામતો એવો અર્જુન અહીં ખેદ ક્રિયાનો કર્તા અર્જુન છે અને કર્મ વિષાદ છે તેથી વિષાદ અર્જુનમાં આગંતુક છે કારણ કે આનંદ એ આત્માનો સહજ સ્વભાવ છે. દુઃખ તો સંયોગને લઈને ઊભું થાય છે. એને હટાવી પણ શકાય એથી એ સ્વાભાવિક ગુણ નથી. આ શબ્દ અર્જુનના વાણી વિષાદનો સૂચક છે.

અહીં उवाच એટલું જ કહ્યું હોત, અને इदं वाक्यं ન કહ્યું હોત તો પણ ચાલત. છતાં પણ इदं वाक्यं કહેવાનો ભાવ એ છે કે, ભગવાનની વાણી અતિ વિલક્ષણ છે. અર્જુનના હૃદય પર સીધો આઘાત પહોંચાડનારી છે. તેના માનસમાં ઊથલપાથલ કરનારી છે. વાણીના પ્રભાવથી જ અર્જુન ભગવાનનું શિષ્યત્વ ગ્રહણ કરી લે છે.

ભારતીય ધર્મમર્યાદા પ્રમાણે नाऽपृष्ट: कस्यचित्‌ ब्रूयात्‌-પૂછયા વિના કોઈને ઉપદેશ ન દેવો. તેથી જ તો અત્યાર સુધી ફકત (नाऽपृष्ट: क्वचित्‌, ब्रूयात्‌, न चान्याऽयेन पृच्छत:। जानन्‌अपि हि मेधावी, जडवल्लोक आचरेत्‌) અર્જુન જ બોલ્યો છે, ભગવાન કશું જ બોલ્યા નથી. એમ મૌન રહીને આ મર્યાદાનો પૂર્ણપણે ભગવાને નિર્વાહ કર્યો છે. જ્યાં સુધી અર્જુન પોતાને વિશેષજ્ઞ માનીને શાસ્ત્રજ્ઞાન પ્રગટ કરતો રહયો ત્યાં સુધી ભગવાન મૌન રહ્યા; પરંતુ अपृष्टोपि हितं ब्रूयात्‌ यस्यनेच्छत्‌ पराजय:। જેનો તિરસ્કાર ન ઈચ્છતા હોઈએ એને તો પૂછયા વિના પણ કહેવું. બીજાને નહિ. એટલા માટે ભગવાને અહીં ઉપદેશ તો ન આપ્યો પણ ચેતવણી દેવા લાગ્યા. ભગવાન મર્યાદાના રક્ષક છે. તે કેમ મર્યાદાનો લોપ કરે ? વાત પણ એમ જ છે કે જ્યાં સુધી માણસ પોતાની હઠ પકડીને બેઠો હોય ત્યાં સુધી એને કંઈપણ કહેવું નકામું છે. જિજ્ઞાસારૂપ મુખ વિના ઉપદેશરૂપ અમૃત કેવી રીતે અંદર ઊતરી શકે ? જિજ્ઞાસા વિના મન અન્યત્ર જ ભટકતું રહે. એટલા માટે જ્યારે જિજ્ઞાસા ઉદય થાય ત્યારે જ ઉપદેશ દેવાય પણ જિજ્ઞાસા વગર ચેતવણી જ પૂરતી છે. અર્જુન જ્યારે શરણાગત થઈને પ્રશ્ન કરે છે ને પોતાની શિષ્યતા પ્રગટ કરે છે, ત્યારે ભગવાને ઉપદેશ કર્યો છે. અહીંયાં તો ફકત ચેતવણીનાં બે વાક્યો કહ્યાં. वाक्यमुवाच આ બે પદથી આ વાત વ્યકત થાય છે.

मधुसूदन-મધુસૂદન કહેવાનું તાત્પર્ય એ છે કે मधु-મધमधु सूदयति खण्डयति मर्दयति नाशयति इति मधुसूदन:-અર્જુનના હૃદયમાં સંબંધીઓ પ્રત્યે આસક્તિની જે મીઠાશ-ચીકાશ પેદા થઈ છે. એને તોડનારા છે એટલે मधुसूदन:- સંબોધન કર્યું.

શ્રીભગવાન બોલ્યા

कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम्‌।
अनार्यजुष्टमस्वर्ग्यमकीर्तिकरमर्जुन।।२।।
क्लैब्यं मा स्म गम: पार्थ नैतत्त्वय्युपपद्यते।
क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परंतप।।३।।

અર્થઃ હે અર્જુન ! તારા જેવા શૂરવીરને અસમયે વિષાદ માટે અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ કયાંથી થયો ? કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો છે, ન તો સ્વર્ગ આપનારો છે કે ન તો યશ આપનારો છે. આથી હે પાર્થ ! નપુંસકતાને વશ ન થા, તને એ શોભતી નથી; હે શત્રુઓને તપાવનાર ! હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઈ જા.

ગીતામાં બધી જગ્યાએ વક્તા શ્રીકૃષ્ણને ભગવાન શબ્દથી જ કહ્યા છે અને તેથી જ આ ગ્રંથનું નામ પણ ભગવદ્‌ગીતા પડયું છે. ખરેખર તો કૃષ્ણ ગીતા કહેવું જોઈએ પણ તેમ નથી અને ભગવદ્‌ગીતા કહેવાય છે. જેમાં ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય (અથવા-જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય અને પ્રતાપ) એ છ ઐશ્વર્યોને ભગ કહેવામાં આવે છે અને તે જેમાં હોય તેને ભગવાન કહેવાય. તેથી એ પણ સૂચિત થાય છે કે, પોતાના પૂર્ણ જ્ઞાનથી બધાનાં મનની વાત જાણી તદ્‌અનુકૂળ ઉપદેશ આપીને એની હઠીલાઈ મુકાવી શકે છે. પોતાના ઐશ્વર્યથી પણ મનુષ્યની ચિત્તવૃત્તિ બદલી શકે છે અને વળી ભગવાન હોવાને કારણે તેમની વાણીમાં પ્રમાદ, વિપ્રલીપ્સા અને મતાગ્રહનો સંભવ નથી. એવા ભગવાન જ્યારે અર્જુનને કહેવા લાગ્યા તો જરૂર અર્જુનની વૃત્તિમાં ફેરફાર થઈ જ જશે અને પાછો યુદ્ધે ચઢશે એવો સંજયનો આશય છે.

हे अर्जुन=અર્જુનનો અર્થ થાય છે. સીધો, સાદો, સરળ અને શ્વેત. આ સંબોધન દેવાનું તાત્પર્ય એ છે કે, નિર્મળ અને સ્વચ્છ અંતઃકરણવાળો તું છે. તારા સ્વભાવમાં આ કાલુષ્ય-કાયરતા ઘટતી (શોભતી) નથી.

कुतस्त्वा कश्मलमिदम्‌--આ મળ તારા હૃદયમાં કયાંથી આવી ગયોकुत:  શબ્દમાં किं શબ્દને સાર્વવિભક્તિક तसील् ‌પ્રત્યય થયો છે અને આશ્ચર્યનો બતાવનારો છે. આશ્ચર્ય બે પ્રકારે થાય છે. એક તો પોતાની ધારણા કરતાં કંઈક નવીન વસ્તુ દેખાય ત્યારે આશ્ચર્ય થાય છે. ભગવાનને અર્જુનનું આશ્ચર્ય થયું છે, તે અર્જુનની કયારેય પણ ન દીઠેલી કાયરતા જોઈને થયું છે અને બીજું બીજાને ચેતવવા માટે પણ આશ્ચર્ય થાય છે. ભગવાન અર્જુનથી અજ્ઞાત છે એમ નથી પણ અર્જુનને ચેતવવો છે એ ભાવમાં પણ कुत: શબ્દનો પ્રયોગ કર્યો છે.

વળી कुत: શબ્દ કારણ અને પ્રયોજન પર આક્ષેપ કરનારો છે. અર્થાત્‌તારા આ વિષાદનું મોહ સિવાય બીજું કોઈ કારણ નથી અને કોઈ પ્રયોજન પણ નથી. તેમાં કોઈ ફાયદો નથી અને કોઈ શુદ્ધ પ્રેરણા પણ નથી.

कश्मलमिदं- આ પ્રત્યક્ષીભાવને પામી ગયો છે એવો-દોષ મનમાં જ આવ્યો હોત તો ઠીક પણ આ તો ક્રિયામાં પણ આવી ગયો. રડવા લાગ્યો. ધનુષ્ય પડી ગયું. कश्मल-कश्‌, गतौ, मल-મળદોષ જે મળ તરફ લઈ જાય તેને કશ્મલ કહેવાય. ‘આ મારા’ ‘આ મારા’ એમ કરે છે ને પાછો જ્ઞાનીપણાની શેખી કરે છે ! આ તારી કાયરતા એ કશ્મલ છે. આવા વિષમ સમયમાં તે કયાંથી આવ્યો ? સામસામા શંખ વાગી ચૂકયા છે. હથિયારો હાથમાં ઉઠાવી લીધા છે. આ સમયે ખરેખર તારામાં શૂરવીરતા ને ઉત્સાહ આવવો જોઈએ તેને સ્થાને કાયરતા કયાંથી ?

समुपस्थितम्‌ કહીને ભગવાન એમ કહેવા માગે છે કે આ તારો સ્વાભાવિક ગુણ નથી, આગંતુક છે.

ભગવાન પૂછે છે કે તું જે સંગ્રામ છોડવાની વાત કરે છે, તે શિષ્ટાચાર સમજીને કરે છે કે સ્વર્ગાદિકની પ્રાપ્તિને કરાવનારો ધર્મ સમજીને કરે છે કે સંસારમાં કીર્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કરે છે ? જો શિષ્ટાચાર સમજીને આ યુદ્ધ છોડવાની વાત કરતો હો તો તે પણ બરાબર નથી. કારણ કે તારું કાર્ય अनार्यजुष्ट છે. ભૂતકાળમાં કોઈ આર્ય ક્ષત્રિયોએ આવું કાર્ય કર્યું નથી. સંગ્રામમાંથી ખરા સમયે ભાગી જવું એ શિષ્ટ પુરુષનો મત નથી. આ કાર્યને શિષ્ટ સંપ્રદાય દ્વારા અનુમોદન પણ અપાયેલ નથી. તેથી આ વડે અંતઃકરણની શુદ્ધિ પણ નહિ થાય. અંતઃકરણની શુદ્ધિ મનમાન્યા સાધનથી થતી નથી. શિષ્ટ પુરુષો દ્વારા અનુમોદિત સાધનથી જ થાય છે. જે માણસ મનમાં એમ વિચારે છે કે, આ ખૂબ સારું છે. એ પ્રકારે વસ્તુનિષ્ઠ ગુણધર્મનો અભ્યાસ કરી અંતઃકરણની શુદ્ધિ કરવા ઈચ્છે છે તેના અંતઃકરણની શુદ્ધિ થતી નથી. મનમાની રીતે અંતઃકરણની શુદ્ધિ થઈ શકે નહિ. એટલા માટે હે અર્જુન ! તારો આ કાર્પણ્યદોષ શિષ્ટાનુમોદિત નથી.

અને જો સ્વર્ગાદિકને પમાડનાર ધર્મ સમજીને તું કરતો હો તો તેમ પણ નથી. તારું આ કાર્ય अस्वर्ग्यम्‌-સ્વર્ગને પણ પમાડનારું નથી. શ્રુતિ અને શાસ્ત્ર વિરુદ્ધ હોવાથી એ ધર્મ નથી તેથી સ્વર્ગાદિકને પણ પમાડી કેમ શકે ? માટે એ ઈચ્છા પણ વ્યર્થ જ છે.

તો અર્જુન કહે, સારું મહારાજ ! ભલે શિષ્ટાચાર ન હોય, ભલે સ્વર્ગપ્રાપક ન હોય તો પણ આ લોકમાં કીર્તિને આપનારું તો થશે ને ? લોકમાં કહેવાશે કે અહો ! અર્જુને રાજ્ય છોડી દીધું, યુદ્ધ બંધ કરી દીધું, લોકોને મરતાં બચાવ્યા. એમ મારી ખૂબ કીર્તિ ફેલાશે. ભગવાન કહે નહિ. આ તારું કાર્ય –अकीर्तिकरम्‌- કીર્તિને આપનારું પણ નથી. ઊલટું લોકો તને ડરપોક કહેશે અને તું અપકીર્તિને જ પાત્ર બનીશ.

માટે હે અર્જુન ! તારો આ કાર્પણ્ય દોષ શિષ્ટાનુમોદિત નથી, સ્વર્ગ પ્રાપક નથી અને લૌકિક લાભદાયક પણ નથી. શિષ્ટાનુમોદિત ન હોવાથી મોક્ષ આપનારો નથી. શાસ્ત્રવિહિત ન હોવાથી સ્વર્ગપ્રાપક પણ નથી અને લોક વિરુદ્ધ હોવાથી કીર્તિ આપનાર પણ નથી છતાં તું આ શું કરવા બેઠો છે ?

આ પહેલો શ્લોક ભગવાને નિષેધાત્મક કહ્યો-પછી હવે શું કરવું જોઈએ તેની વિધિની વાત કરે છે.

હે પાર્થ ! पृथाया: अपत्यं पुमान्‌इति पार्थ:। પૃથા એ કુંતીનું નામ છે. કુંતી વીર માતા છે. ભગવાનને ‘પાર્થ’ નામ ખૂબ જ પ્રિય છે. ગીતામાં ભગવાને આડત્રીશ વખત અર્જુનને પાર્થ સંબોધન કર્યું છે. ત્યાર પછી ‘કૌંતેય’ સંબોધન કુલ ૨૪ વખત થયું છે. ભગવાને અર્જુનને જ્યારે કોઈ વિશેષ વાત કહેવી હોય કે આશ્વાસન દેવું હોય કે અર્જુન પ્રત્યે વિશેષ પ્રેમ ઊમટે છે ત્યારે ભગવાન એને ‘પાર્થ !’ કહીને વાત કરે છે. આ પ્રયોગથી એવો ભાવ દેખાય છે કે, તું મારી સગી ફઈનો દીકરો છે. સાથે સાથે મારો પ્યારો ભક્ત છે અને મિત્ર છે. તેથી હું તને અત્યંત રહસ્યની વાત કહું છું અને જે કહું છું તે સત્ય અને કેવળ તારા હિતનું કહું છું એમ માનજે. તેથી અહીં પણ પાર્થ સંબોધન કરી વીર જનેતા કુંતીના સંદેશાની યાદી પણ અર્જુનને અપાવે છે.

માતા કુંતીની યુદ્ધ કરવાની ચોખ્ખી આજ્ઞા છે. કાયરતાથી તું એનું ઉલ્લઘંન કદી કરીશ નહિ.

क्लैब्यं मा स्म गम:।=હે અર્જુન ! તું ક્લિબતાને પામ નહિ. ભગવાન અર્જુનને ચેતવે છે કે યુદ્ધ ન કરવું એ ધર્મની વાત નથી; એ તો કેવળ નરી નપુંસકતા જ છે.

અર્જુન સ્ત્રૈણ બન્યો છે. એની પછવાડે બીજાં પણ કારણો છે. સંજય વિષ્ટિ વખતે ધૃતરાષ્ટે ઊંચા પ્રકારનું તત્ત્વજ્ઞાન કહેવડાવ્યું હતું કે જે સાંભળી પાંડવો યુદ્ધથી વિરતિ પામે. તેનું જ આ પરિણામ છે. ભગવાન શ્રીકૃષ્ણે તેના ઉપર બીજી દવા આપી ખરી પણ પહેલાં જે એસિડ પીધો હતો તેની અસર રહી ગઈ. આંતરડાં નબળાં થઈ ગયાં હતાં. તેથી અર્જુનની આ વૃત્તિ ઊભરાઈ આવી છે. બીજાું આ સ્ત્રી સાંનિધ્યનું પરિણામ છે. અર્જુન છેલ્લા એક વર્ષ સુધી અજ્ઞાતવાસ વખતે સ્ત્રીઓનાં ટોળાંમાં રહ્યો હતો ને પછી તુરત યુદ્ધ થયું છે. માનસશાસ્ત્રીય દૃષ્ટિથી તેની અસર થાય છે. અર્જુનની કરુણાવૃત્તિ એ સ્ત્રી સહવાસનું પરિણામ છે. તેનાથી વીરવૃત્તિ ઘટી જાય છે. સતત સ્ત્રી સાંનિધ્ય સેવનાર માણસોનું પૌરુષ ઓછું થાય છે. કોમળતા, ભીરુતા વગેરે આવી જાય છે. આ ગુણોની સાથે વીરવૃત્તિ ન હોય તો કર્તવ્યભ્રષ્ટતા અને બુદ્ધિભ્રષ્ટતા ઊભી થાય છે.

नैतत्त्वय्युपपद्यते= તને આ ઘટતું નથી त्वयि કહીને અર્જુનની ભવ્ય પ્રતિભાની ભગવાન યાદ અપાવે છે. તું કોણ છે ? વીર ક્ષત્રિયાણીનો પુત્ર છે. ભગવાન શંકરને યુદ્ધમાં સંતોષ પમાડનાર છે. નિવાત-કવચ જેવા ભયંકર અસુરોને એકલે હાથે પરાભવ કરનારો છે. ગોગ્રહણ વખતે ભીષ્મ, દ્રોણ, કર્ણ જેવા અનેક મહારથીઓને એકલે હાથે પરાજિત કર્યા હતા. એવા તારામાં આવી કાયરતા ઘટતી નથી. હે પરંતપ ! તું પર એટલે શત્રુઓને તપાવનારો છે.

આ સમયે યુદ્ધવિમુખ થઈને શત્રુઓને હર્ષ પમાડનારો બનીશ. क्षुद्रं हृददौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ !=આ તારી હૃદયની દુર્બળતા અત્યંત તુચ્છ છે અને આગંતુક હોવાથી ખૂબ જ નાની વસ્તુ છે. તારા જેવા શૂરવીરને એનો ત્યાગ કરવો એ કઠિન નથી. માટે આ દુર્બળતા તુચ્છ છે.

વળી આ દુર્બળતા તુચ્છતાને પમાડનારી છે. મુક્તિ, સ્વર્ગ કે કીર્તિમાંથી ભ્રષ્ટ કરીને તુચ્છતાની પ્રાપ્તિ કરાવનારી હોવાથી તું જો તેનો ત્યાગ નહિ કરે તો તને પણ તુચ્છ કરી નાખશે. માટે તેનો ત્યાગ કરીને યુદ્ધ માટે ઊભો થા. ભગવાનના મનમાં અર્જુનના કર્તવ્ય વિષયમાં જરા પણ સંદેહ નથી. ભગવાન જાણે છે કે, સર્વ રીતે અર્જુનને માટે યુદ્ધ કરવું એ કર્તવ્યરૂપ છે અને શ્રેયરૂપ પણ છે. તેથી અર્જુનની થોથી યુક્તિઓની પરવા કર્યા વિના પોતાના કર્તવ્યપાલન કરવાની કડક આજ્ઞા આપે છે.

પહેલાં અધ્યાયમાં અર્જુને ઘણી યુક્તિઓ આપી છે પણ એકેય વાત ન સાંભળતાં ભગવાને એને क्लैब्य કહીને ફટકાર્યો છે ત્યારે અર્જુનની અંદર પડેલો મૂળભાવ કે જે વિષાદનું સાચું કારણ છે તે નીકળે છે-જ્યારે માણસને છંછેડો ત્યારે જ અંદર જે પડયું હોય (સજ્જનતા કે દુજર્નતા) તે નીકળે છે-એ અર્જુન ચોથા શ્લોકથી કહે છે.
અર્જુન બોલ્યા

कथं भीष्ममहं सख्ये द्रोणं च मधुसूदन।
इषुभि: प्रतियोत्स्यामि पूजार्हावरिसूदन।।४।।

અર્થઃ હે મધુસૂદન ! રણભૂમિમાં હું બાણોથી કઈ રીતે ભીષ્મ પિતામહ અને દ્રોેણાચાર્ય વિરુદ્ધ લડીશ ? કેમ કે હે અરિસૂદન ! તેઓ બન્નેય પૂજનીય છે.

અહીં ભગવાનને માટે મધુસૂદન અને અરિસૂદન એ બે સંબોધનો આપ્યાં છે. તેથી અર્જુનનો ભાવ એવો છે કે, તમે મધુસૂદન એટલે દૈત્યને મારનારા છો. દુષ્ટ સ્વભાવવાળા અને અધર્મમય આચરણ કરવાવાળાને મારનારા છો. અરિસૂદન એટલે તમે શત્રુઓને મારનારા છો. વિના કારણે કષ્ટદેનારા અને બીજાનું અનિષ્ટ કરનારાઓને મારનારા છો. તેથી આપનું નામ મધુસૂદન અને અરિસૂદન પડયું છે. તો પછી ભીષ્મ-દ્રોણની હત્યા કરાવીને મારું નામ શું રખાવવા માગો છો ? ભીષ્મસૂદન અને દ્રોણસૂદન તમે અરિસૂદન અને મધુસૂદન છો અને મને પિતામહસૂદન, ગુરુસૂદન અને આચાર્ય સૂદન બનાવવા ઈચ્છો છો ?

આ ભીષ્મ ને દ્રોણ રાક્ષસ થોડા છે ? એ તો મારા સંબંધી છે. સંસારમાં બે પ્રકારના સંબંધો મુખ્ય છે. (૧) જન્મ સંબંધી અને વિદ્યા સંબંધી-નાદવંશ બુંદવંશ એને હું કેમ મારું? તમે દૈત્યો માર્યા ને મને સંબંધીને મારવાનું કહો છો ?-ના. મેં પણ સંબંધીને માર્યા છે. કંસ-શિશુપાળ મારા સંબંધી જ હતા ને ? પણ મહારાજ ! એ તમારા શત્રુ હતા. આ તો શત્રુ નથી આ તો પૂજવા યોગ્ય છે-ગુરુ છે.

વક્તા ગમે તેટલો મહાન હોય પણ એક એના ગુરુ જ જો એની સભામાં આવીને બેસે તો એની જીભ ઝલાવા માંડે. પરસેવો વળી જાય કે હું કોની આગળ બોલું છું !

અર્જુનની સામે ચિત્ર ખડું થઈ ગયું કે દ્રોણ મને પરોઢિયે જગાડતા. અર્જુન ! ઊઠ તારા અભ્યાસનો સમય થઈ ગયો છે ! હું ધનુષ્ય પર બાણ ચઢાવી શકતો નહિ ને બાણ હાથમાંથી પડી જતું તે ગુરુ વાંકા વળી, લઈને મને આપતા અને શરસંધાન કેમ કરવું તે શીખવતા. જેણે પોતાના પુત્રને ન આપી એ બધી વિદ્યા મને આપી છે. એને કેમ મારું ?

બીજા-એમાં શત્રુતા ન હતી એ બતાવતો પ્રસંગ જયદ્રથવધ પ્રસંગમાં પણ દ્રોણને એક બાજુ રાખી, પ્રણામ કરી, અર્જુન આગળ વધે છે-ત્યારે દ્રોણ કહે, તું શત્રુને મૂકી કેમ જતો રહે છે કાયર ! ત્યારે અર્જુન કહે છે ‘તમે તો મારા ગુરુ છો, શત્રુ નહિ.’

ભીષ્મને કારણે અમારું વંશવૃક્ષ વધ્યું છે. અંબાલિકા આદિ કન્યાઓને હરણ કરીને લાવી, ભગવાન વ્યાસને પ્રાર્થના કરી, ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરને એમણે જન્મ અપાવ્યો છે. તેઓ અમારા વંશના મૂળ પુરુષ છે. અમારા પિતામહ છે. વળી નાનપણમાં હું જેના ખોળામાં રમ્યો છું. તેમનાં કપડાં મેલાં કર્યાં છે અને તેમની ડોકે બાથ ભરીને ધોળી દાઢી પર હાથ ફેરવતા હું જ્યારે પિતાજી ! પિતાજી ! એમ કહેતો ત્યારે મારા મસ્તક પર પોતાનો હાથ ફેરવી વાત્સલ્ય ધારા વરસાવી, તેઓ મને કહેતા કે ‘‘બેટા ! હું તારો પિતાજી નથી પણ તારા પિતાનો પણ પિતાજી છું.’’ કુળમાં નોંધારા એવા અમારા તેઓ એકમાત્ર આધાર હતા. વળી આજીવન બ્રહ્મચારી, પરમ ધર્મજ્ઞ, બ્રહ્મવેત્તા અને બ્રહ્મજ્ઞાન દેનારા દેવતા સમાન શ્રુતિપ્રશંસિત-भीष्मो हि देव:। એવા પિતામહને હું કેમ મારું ? શું તમે પિતામહ ઉગ્રસેન કે ગુરુ સાંદીપનિ પર કદી આક્રમણ કરશો ? અર્જુન ભગવાન સામે આવી કેટલીયે દલીલો કરે છે. संख्ये-युद्धभूमौ-संख्य અને संख्या બન્ને એક જ ધાતુમાંથી બનેલા શબ્દો છે. संख्या ની સ્થાપના ખંડનાત્મક પ્રવૃત્તિથી થાય છે. જેમ ચાર વર્ણ તો કોઈ કહેશે કે ત્રણ કે પાંચ કેમ નહિ, ત્યારે ત્રણ-પાંચનું ખંડન કરીને ચારની સ્થાપના થાય છે. આમ એક સંખ્યા અધિક ઓછી કરીને, કાપીને પોતાનું અસ્તિત્વ સ્થાપન કરે છે. તેવી જ પરિસ્થિતિ संख्य-યુદ્ધભૂમિમાં છે. એક બીજાને કાપીને પોતાનું સ્થાન મેળવાય છે. જેના પ્રત્યે પ્રેમભાવ અપેક્ષિત છે ને સેવવા યોગ્ય છે. સેવવા યોગ્ય કરતાં પણ વધારે જે પૂજવા યોગ્ય છે. એવા ભીષ્મ-દ્રોણ સામે ટુકડા ટુકડા કરી દેવાની હિંસક ભાવના ઉત્પન્ન કરનારી યુદ્ધભૂમિમાં ઊભું રહેવું એ પણ અપરાધ છે. ગુરુની સાથે વાદવિવાદમાં સામા થઈને हुं कृत्य त्वं कृत्य। કરવું તે પણ મહાપાપ લેખાય છે. તેઓ તો મારા પૂજનીય છે.

ईषुभि: प्रतियोत्स्यामि-અહીં અર્જુન ‘પ્રતિયોત્સ્યામિ’ એમ કહે છે. અર્જુન પોતે યુદ્ધ કરવાની વાત તો કરતો જ નથી. પોતે એમને બાણ મારશે એવી કલ્પના તો તેના મનમાં પણ નથી. પણ કદાચ ભીષ્મ-દ્રોણ મારી પર પ્રહાર કરે તો પણ હું તેના બદલામાં તેમની સામે કેવી રીતે બાણ ચલાવું ! તેઓનો મારા પર સંપૂર્ણ અધિકાર છે. મારા તેઓ પૂજનીય છે માટે પ્રતિયુદ્ધ પણ હું કેમ કરી શકું?

गुरूनहत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भैक्ष्यमपीह लोके ।
हत्वार्थकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान्रुधिरप्रदिग्धान् ।।५ ।।

અર્થઃ માટે આ મહાનુભાવ ગુરુજનોને નહિ હણીને હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ વડે જીવનનિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજું છું; કેમ કે ગુરુજનોને હણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂ૫ ભોગોને જ ભોગવીશ ને!

એવી પ્રતીતિ થાય છે કે, ભગવાને કહેલાં વચનો અર્જુનના હૃદયમાં પ્રવેશ કરી રહ્યા છે. અર્જુન મનમાં સમજે છેકે, કૃષ્ણ મને અયોગ્ય આજ્ઞા કરે નહિ. એમ જાણવા છતાં પણ કૃષ્ણનાં વચનનો રણકાર એનો એ જ આવે છે. જરૂર મારી કંઈક ભૂલ થતી હશે? તેથી પ્રથમ શ્લોકમાં જે અર્જુનની વાણીમાં ઉત્તેજિતતા ને ઉશ્કેરાટ હતો તે આ શ્લોકમાં નરમ અને ઓછો થયેલો દેખાય છે. कथं भीष्मं કહીને અર્જુનના અંતરમાં આ સૂર રણકે છે કે, મારે યુદ્ધ છોડ્યા વિના બીજો કોઈ રસ્તો છે જ નહિ. જ્યારે આ શ્લોકમાં गुरूनहत्वा માં અર્જુન ઢીલો પડીને “મારી પાસે આનાથી વધારે સારો-भैक्ष्यं श्रेयः । રસ્તો હોઈ આ રસ્તો શા માટે લેવો?” એમ કહે છે એનો અર્થ એ છે કે બીજો રસ્તો હોત જ નહિ કે યુદ્ધ કરતાં ઊતરતો હોત તો વિચાર કરત એટલે જે પહેલાં નિશ્ચય હતો કે કોઈપણ ઉપાયે યુદ્ધ નહિ જ કરું. તેમાં ભગવાનના શબ્દની અસરથી આટલી ઢીલાશ આવી.

બીજા પદમાં रुधिरप्रदिग्धान् भुञ्जीय ગુરુજનોના લોહીથી ખરડાયેલા ભોગો હું ભોગવીશ. એવી પરિસ્થિતિ મારે માટે અતિ પાપજનક અને શરમજનક છે, માટે હું યુદ્ધ નહિ કરું.

પ્રથમ શ્લોકમાં (૪થામાં) મારે માટે બીજો કોઈ રસ્તો જ નથી માટે યુદ્ધ નહિ કરું,ત્યાર પછી આના કરતાં બીજો સારો રસ્તો છે માટે યુદ્ધ નહિ કરું અને ત્રીજા સોપાનમાં યુદ્ધ એ ગુરુજનોના લોહીથી ખરડાયેલા ભોગો રૂપ દોષથી દોષિત છે અને મારે માટે એ અતિદુષ્કર છે માટે યુદ્ધ નહિ કરું એમ કહે છે.

ભગવાને આગળ જે કહ્યું હતું કે યુદ્ધન કરવું એ જે તારો નિર્ણય છે તે अनार्यजुष्ट,अस्वर्ग्य અને अकीर्तिकर છે એ શબ્દોથી જાણે પોતાનો બચાવ કરતો હોય તેમ અર્જુન કહે છે કે महानुभावान् गुरू न् अहत्वा આ ભિષ્મ અને દ્રોણ એ મહાનુભાવો છે. અવસ્થા, પદ, વિદ્યાધ્યયન, પ્રજ્ઞા, તપસ્યા અને અનુભવમાં તેઓ મહાન છે. બન્ને ઈચ્છામૃત્યુ છે, ભિષ્મ તો બ્રહ્મચારી છે. પરમતત્ત્વના અનુભવી છે. બીજાને અનુભવ કરાવનારા છે. એમને મારવા એ આર્યજુષ્ટ કેવી રીતે હોઈ શકે? પરંતુ તેમને મારવા એ જ મને અનાર્યજુષ્ટ લાગે છે અને આવા પુરુષોનો વધ કરવાથી સ્વર્ગ કેમ પ્રાપ્ત થઈ શકે? અને કીર્તિ પણ ન જ મળે. મને તો આવા મહાનુભાવોને મારવા તેજ અકીર્તિકર દેખાય છે.

गुरून् अहत्वा भैक्ष्यं भोक्तुं श्रेयः હવે અર્જુન પોતાનો અભિપ્રાય સામે રાખીને કહે છે કે, જો હું ભિષ્મ-દ્રોણ આદિ સાથે યુદ્ધ નહિ કરું તો દુર્યોધન એકલો મારી સાથે યુદ્ધ નહીં કરે મને રાજ્ય નહિ મળે. એટલું જ નહિ મારો જીવનનિર્વાહ પણ કઠિન બનશે. ક્ષત્રિયને નિષિદ્ધ એવી ભિક્ષાવૃત્તિ મારે ગ્રહણ કરવી પડશે. ખેર ! ભલે ક્ષત્રિય માટે નિંદિત એવી ભિક્ષાવૃત્તિ ગ્રહણ કરવી પડે પણ ગુરુજનોને મારવા કરતાં તેને હું વધારે કલ્યાણકારી માનું છું.

આ પંક્તિમાં इहलोके કહેવાનું તાત્પર્ય એ છે કે, ભિક્ષા માગી ખાવું તેથી આ સંસારમાં મારે માટે એક પ્રકારનું અપમાન, તિરસ્કાર થશે, લોકો મારી નિંદા કરશે તો પણ ગુરુજનોને મારવાની અપેક્ષાએ તો એ કલ્યાણકર જ છે.अपि કહેવાનું તાત્પર્ય એ છેકે, મારે માટે બન્ને નિષિદ્ધ છે-ગુરુજનોને મારવા કે ભિક્ષા માગવી તો પણ બન્નેમાંથી ગુરુજનોને મારવા તે વધારે નિષિદ્ધ છે. એવું મને દેખાય છે.

हत्वार्थकामास्तु… रुधिरप्रदिग्धान् હવે અર્જુન ભગવાનના વચનોની તરફ દ્રષ્ટિ રાખીને કહે છે કે, જો હું આપની આજ્ઞા અનુસાર યુદ્ધ કરું તો યુદ્ધમાં ગુરુજનોની હત્યાથી, લોહીથી ખરડાયેલા ભોગોને ભોગવીશ મને ભોગ મળશે પણ મુક્તિ નહિ મળે. અહીં अर्थकामन् પદ भोगान् નું વિશેષણ લેવું કે गुरुन् નું વિશેષણ લેવું એ ચર્ચાનો વિષય થાય છે. કેટલાક વિચારકો गुरुन् ના વિશેષણ તરીકે લે છે. અર્જુન જ્યારે ભીષ્મ-દ્રોણને માટે पूजाह અને महानुभाव શબ્દ પ્રયોગ કર્યો તો ભગવાનને આ મહાનુભાવોની અતીત ઘટનાઓની યાદ આવવા લાગી. લાક્ષાગૃહ દહન, દ્રૌપદી વસ્ત્રાહરણ વગેરે ઘટનાઓમાં આ બંને મહાપુરુષો ઉપસ્થિત હતા. મૌન બેઠા રહ્યા. આ અનર્થને અધિકારપૂર્વક રોકવામાં કોઈએ સાહસ બતાવ્યું નહિ. ક્યાં ચાલી ગઈ હતી ત્યારે એમની મહત્તા અને પૂજનીયતા? આ વાતની યાદ દેવડાવતા હોય તેમ ભગવાન હસ્યા અને અર્જુનના આ શબ્દો પર કટાક્ષ કર્યો. શ્રીકૃષ્ણ કશું બોલ્યા નહિ પણ અર્જુન હસવાનું તાત્પર્ય સમજી ગયો. કારણ કે, સત્પુરુષો અકારણ હસતા નથી. અકારણ હસવું એ મૂર્ખનું લક્ષણ છે.

बालसखित्वमकारण हास्यं गर्दभयानमसंस्कृत वाणी।
स्त्रिषु विवादोऽसज्जन सेवा षट्षु नरो लघुतामुपयाति ।।

અર્જુન ભગવાનનો આ કટાક્ષ બરોબર સમજી ગયો છે. તેણે માની લીધું કે, નિઃસંદેહ આ અર્થકામના ગુલામ છે; પરંતુ મારા તો ગુરુજન છે. એટલે મૂળમાં अर्थकामान् गुरून् અર્જુને આવો શબ્દ પ્રયોગ કર્યો છે. માટે भोगान् શબ્દ સાથે આનો અન્વય કરવો એ દુરાન્વય થશે અને વળી મહાભારતના પૂર્વાપર પ્રસંગને અનુસારે પણ अर्थकामन् શબ્દ એમને માટે અનુચિત નહિ ગણાય.-યુદ્ધારંભ વખતે યુદ્ધિષ્ઠિર એમની પાસે ગયા હતા ને પૂછયું હતું કે યુદ્ધમાં અમારો પક્ષ ધર્મનો પક્ષ છે? તો કહે, “હા”. તો તમે અમારા પક્ષમાં કેમ નથી આવતા રહેતા ? ત્યારે તેઓ બોલેલા કે अर्थस्य पुरुषो दासो, दास स्त्वर्थो न कस्यचित् ।

અર્જુન કહે છે કે ભલે તે अर्थकाम હોય પણ તેઓ મારા ગુરુજન મટતા નથી. તેથી તેમને મારીને ભૌતિક લાભ માણવા એ તેમના લોહીથી ખરડાયેલી લૂંટ ભોગવવા બરાબર છે. એ મારે માટે અનુચિત છે. કારણકે તે ભોગોથી મને મુક્તિ થોડી મળશે? શાંતિ થોડી મળશે? નહિ જ મળે.

ભગવાને બીજા-ત્રીજા શ્લોકમાં કાયરતાને છોડીને યુદ્ધ માટે તૈયાર થવાની આજ્ઞા આપેલી છે; પરંતુ અર્જુન ભૌતિક દૃષ્ટિથી વિચારે છે. તેને મોહ વ્યાપી ગયો છે. મોહ-મમતાના પ્રવાહમાં તણાઈ રહ્યો છે. તેથી એમ માને છે કે, યુદ્ધ કરાવીને ભગવાન મને રાજ્યભોગ અપાવવા ઈચ્છે છે. હકીકતમાં ભગવાન એનું કલ્યાણ ઈચ્છે છે. પ્રથમ તો અર્જુન સામે એક જ નિર્ણય હતો. “યુદ્ધ કરવું નથી’; પરંતુ ભગવાનના કહેવાથી યુદ્ધ કરવું જોઈએ એવા નિર્ણય પર અર્જુન આવ્યો છે; છતાં પણ યુદ્ધ કરવામાં અર્જુનને અપાર અનર્થો દેખાય છે, અપાર દોષો દેખાય છે.

અહીં એક વિચારવા જેવી બાબત છે કે, દોષ, દોષના રૂપમાં આવે છે ત્યારે તેને ટાળવો સુગમ હોય છે; પરંતુ દોષ જ્યારે ગુણના રૂપમાં આવે છે ત્યારે તેને ટાળવો કઠિન હોય છે. સીતાજી સામે રાવણ, હનુમાનજીની સામે કાળનેમિ, સજ્જનના સ્વાંગ સજીને, સાધુના વેશ લઈને આવ્યા હતા માટે તેઓ ઓળખી શકયા ન હતા. અર્જુનનો મોહકલીલ અત્યારે ગુણનું સ્વરૂ૫ ધારણ કરીને આવ્યો છે. તેથી ભગવાનને તે ટાળવામાં ખૂબ જ પ્રયાસ પડ્યો છે અને સમય લાગ્યો છે. આજકાલ અકર્મણ્યતા અને કાયરતાના પક્ષપાતીઓ પોતાના બચાવની જેટલી યુક્તિઓ આપે છે. તે બધી જ યુક્તિઓ અર્જુન પોતાના દોષને ઢાંકવા માટે દઈ ચૂક્યો છે.

સંબંધઃ હકીકતમાં અર્જુન કોઈ દુરાગ્રહી વ્યક્તિ નથી. તે મુમુક્ષુ અને જિજ્ઞાસુ છે. તે ભગવાનનાં વચનોનું ખંડન કરવા દલીલો કરતો નથી પણ “તારે યુદ્ધ કરવું જોઈએ’ એવી જે ભગવાનની આજ્ઞા તેને પાળવા માટે પોતાને દેખાતા દોષની ભગવાન આગળ રજૂઆત કરે છે પણ ભગવાનની વાણી એવી વિલક્ષણ છે કે અર્જુનને વધુને વધુ પ્રભાવિત કરતી જાય છે. જેથી અર્જુન “યુદ્ધ નહિ કરું’ એવા પોતાના નિર્ણયમાંથી વધુને વધુ ઢીલો પડતો જાય છે. એવી અવસ્થાને પ્રાપ્ત થયેલો અર્જુન કહે છેકે-

न चैतद्विद्मः कतरन्नो गरीयो यद्वा जयेम यदि वा नो जयेयुः ।
यानेव हत्वा न जिजीविषामस्तेऽवस्थिताः प्रमुखे धार्तराष्ट्राः ।।६।।

અર્થઃ વળી, અમે એ પણ જાણતા નથી કે,અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું એ બન્નેમાંથી કયું શ્રેષ્ઠ છે; અથવા એ પણ નથી જાણતા કે તેમને અમે જીતીશું કે તેઓ અમને જીતશે. જેમને હણીને અમે જીવવા પણ માગતા નથી, તે જ અમારા આત્મીય ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધ માટે ઊભા છે!

બેમાંથી કયું વધારે સારું છે એને હું જાણતો નથી એટલે કે નિર્ણય કરી શકતો નથી. અહીં કૃષ્ણની દૃષ્ટિએ યુદ્ધ કરવું શ્રેષ્ઠ છે. અર્જુનની દૃષ્ટિએ યુદ્ધ ન કરવું શ્રેષ્ઠ છે. આ બન્ને પક્ષ અર્જુનની સામે અત્યારે સમકક્ષ થઈ ગયા છે. આગળના શ્લોકમાં બન્ને પક્ષ અર્જુનની દૃષ્ટિએ સમકક્ષ ન હતા कटरत થી અહીં भैक्ष्यसमरयोः मध्ये नः कतरत श्रेयः। યુદ્ધ કરવું શ્રેષ્ઠ છે કે પોતાનું સર્વસ્વ ત્યાગીને ભિક્ષા માગી નિર્વાહ કરવો શ્રેષ્ઠ છે તે હું જાણતો નથી. ધનલોલુપ ગુરુજન ભીષ્મ, દ્રોણાદિને તે તે વસ્તુ આપી દેવામાં આવે એમની ઈચ્છા પૂરી કરી દેવામાં આવે. કારણ કે અમારા કુળનો એ આદર્શ જ છે કે, પોતાનું સર્વસ્વ છોડી વડીલોની ઈચ્છા પૂરી કરવી. ભીષ્મપિતાએ શાંતનું મહારાજની ઈચ્છા પૂરી કરી. પુરુએ યયાતિ મહારાજની ઈચ્છા પૂરી કરી. તેથી વડીલોની ઈચ્છા પૂરી કરવામાં આવે અને પોતાના જીવનનો નિર્વાહ ભિક્ષા માગીને કરી લેવાય એ શ્રેષ્ઠ છે. અહીં અર્જુન યુદ્ધ કરવું અનુચિત છે. એમ ક્યારેય પણ ભગવાનને કહેતો નથી; પરંતુ યુદ્ધ કરવાનાં કારણો મને સમજાતાં નથી એમ કહે છે. તેથી અર્જુન કહે છે કે कतरत नः गरीयः । વળી મહારાજ! તમે એમ કહો કે યુદ્ધ કરવું એ જ શ્રેષ્ઠ છે તો-

जयेम यदि वा नो जयेयुः। આ શબ્દોનો સીધો અર્થ-આ યુદ્ધમાં અમે જીતીશું કે તેઓ અમને જીતશે એનો કોઈ નિશ્ચય નથી. એ પણ જીતે-આવો દેખાય છે; પરંતુ અહીં વિચારણા માગી લે છે. અર્જુનને પોતાના જય પરાજયમાં શંકા થાય એ બનવા જોગ નથી. કારણકે, અર્જુનના મનમાં દૃઢ વિશ્વાસ છે કે, વિજય મારો જ છે. ભગવાન વ્યાસે પણ અર્જુનને કહ્યું છે કે, વિજય તારો થશે. બલરામજીએ પણ કહેલું કે, વિજય તારો થશે. શ્રીકૃષ્ણ તે વિજયનું વારંવાર આશ્વાસન દઈ રહ્યા છે. આરંભમાં શ્રીકૃષ્ણની પ્રેરણાથી ભગવતી દુર્ગાની સ્તુતિ કરી અને દેવીએ પણ પ્રગટ થઈને વિજયી થવાનું વરદાન દીધેલું છે. આ મહા વિભૂતિઓનાં વચનો પર અર્જુનને વિશ્વાસ નથી. એવો આક્ષેપ નાખવો એ પણ અયોગ્ય છે. સૂમિ અને અર્જુનના પ્રસંગમાં પણ અર્જુનનો આત્મવિશ્વાસ હતો કે सशूराऽसुरमानुषम् । “તમારા જેવા સહસ્ત્ર શૂરવીરો કૌરવોના પક્ષમાં જઈને ભળે તો પણ વાસુદેવ મારા રથ પર બેઠા હોવાથી સંપૂર્ણ દેવતા, દૈત્ય અને મનુષ્યોને પરાજિત કરવા હું સમર્થ છું.” એવો એને આત્મવિશ્વાસ છે. તો પછી આ પદનો અર્થ કેમ કરવો? કારણકે અર્જુનના મનમાં પોતાના પરાજયની શંકા ક્યારેય પણ આવી શકે નહીં. શ્રીકૃષ્ણ પણ અર્જુન ડરી ગયો છે એમ માનતા નથી. કારણ કે તે કહે છે કે, भयाद् उपरतं मंस्यन्ते त्वां महारथाः । હું તો જાણું છું પણ તે આમ માનશે તેથી અર્થ લેવો વધારે સંગતિવાળો રહેશે यदि ते नः जयेयुः तदा गरीयः यदि वा वयं जयेमः तदा गरीयः । હે ભગવાન્! અમે જીતીએ અથવા તો તેઓ જીતે, તેમાં કઈ જીત શ્રેષ્ઠ છે? તે હું જાણતો નથી તેથી આપ કહો. કારણ કે, જો લડાઈ કરીશું તો હું જ જીતીશ પણ તે જીત અમારે માટે કલ્યાણકારક છે કે પછી યુદ્ધ ન કરીને ભિક્ષા માગું અને તેઓની જીત પ્રસિદ્ધ થાય એ મારે માટે કલ્યાણકર છે? અત્યારે જય પરાજય બન્ને મારા અધિકારમાં છે, મુઠ્ઠીમાં છે પણ શ્રેષ્ઠ શું છે તે હું જાણતો નથી.

અને જો તમે એમ કહેશો કે, તું યુદ્ધ કર અને ધર્મિષ્ઠ એવા તારો જય થાય એ શ્રેષ્ઠ છે. તો અર્જુન કહે છે કે , यानेव हत्वा न जिजीविषामः ते एव धार्तराष्ट्रः प्रमुखे अवस्थिताः। જેને મારીને અમે સ્વયં જીવવા માગતા નથી તે ધૃતરાષ્ટ્રના પુત્રો અને ભીષ્મ–દ્રોણ વગેરે યુદ્ધના મોરચા ઉપર ઊભા છે. જીત ત્યારે જ થઈ શકે કે, પ્રથમ તેઓને મારવા પડશે. તેથી બન્ને પક્ષોનો નાશ થશે. પોતાને હાથે કુટુંબનો નાશ કરીને બેઠા બેઠા ચિંતા શોક જ કરવો પડશે અને તેથી જ તો અમે એવું જીવન જીવવાની ઈચ્છા રાખતા નથી અને જો યુદ્ધ ન કરવામાં આવે તો વધુમાં વધુ તેઓ અમને મારી નાખશે. તો સંપૂર્ણ કુળ નષ્ટ નહિ થાય, વંશ પરંપરા ચાલુ રહેશે. માટે મને તે શ્રેષ્ઠ લાગે છે કે, અમારે વિજયની આશા છોડી દેવી.

અર્જુનની આ બધી ગણતરીઓ પરથી સાબિત થાય છે કે, તે કૃષ્ણનો પરમ ભક્ત હતો. એટલું જ નહિ પણ તે અભિજાત હતો. ઈન્દ્રિયજીત અને મનોનિગ્રહી હતો. રાજકુટુંબમાં જન્મ્યો હોવા છતાં ભિક્ષાથી જીવવાની ઈચ્છા તેની વિરક્તિ બતાવે છે.

સંગતિઃ અર્જુનના મનમાં વિચાર આવ્યો કે આટલા સુંદર વિકલ્પોને ભગવાન સ્વીકારતા નથી ને ઊલટા વિકલ્પોને મોહના શણગાર કેમ માને છે ? અને મારા હૃદયની દુર્બળતા તરીકે કેમ બતાવે છે? અર્જુન શ્રીકૃષ્ણનો કૃપાપાત્ર છે. નિયમ એવો છે કે જ્યારે પોતાને ઉચિત માર્ગ ન સૂઝે ત્યારે પોતાથી મોટા અને પોતાના હિતૈષીની સંમતિ લેવી જોઈએ. અર્જુન શ્રીકૃષ્ણ ઉપર અવિશ્વાસની ગંધ પણ લાવી શકતો નથી અને પોતાની મેળે પોતાનો મોહ પણ છોડી શકતો નથી. એટલે આ દ્વિધામાં અર્જુન મૂંઝાયો છે ત્યારે તેને થયું કે શ્રીકૃષ્ણ બહુ જ બુદ્ધિમાન છે અને મારા પરમ હિતૈષી છે. મોટા મોટા ઋષિઓ તેને ઈશ્વરાવતાર માને છે માટે તેમને જ શરણે જાઉં અને તેમને જ પૂછું. આવી જિજ્ઞાસાથી પ્રેરાઈને કહે છેકે…

कार्पण्यदोषोपहतस्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः ।
यच्छ्रेयः स्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् ।। ७ ।।

અર્થઃ આથી કાયરતારૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવો તથા ધર્મની બાબતમાં મોહિતચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિતરૂપે કલ્યાણકારી સાધન હોય, તે મને કહો; કેમ કે હું આપનો શિષ્ય છું, માટે આપને શરણે આવેલા મને ઉપદેશ આપો.

कार्पण्यदोषोपहतस्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः । જો કે અર્જુન યુદ્ધથી સર્વથા નિવૃત્તિ માનતો નથી. છતાં પાપથી બચવા માટે તેની પાસે યુદ્ધ છોડવા સિવાય બીજો ઉપાય નથી તેથી ઉપરામ થવા માગે છે અને તેને પોતાનો ગુણ માને છે પણ કાયરતારૂપ દોષ માનતો નથી. ભગવાનનાં વચનોના ફટકાર પછી તેનું હૃદય હચમચી ગયું છે અને તે ફરી પાછો “મારે યુદ્ધ કરવું જોઈએ” એમ માનવા લાગ્યો છે; પરંતુ સંબંધીઓની આસક્તિને છોડવા અસમર્થ હતો. તેથી તેનો ક્ષાત્ર સ્વભાવ ખંડિત થઈ ગયો છે અને તેમાં કૃપણતા આવી.

कृपणः શબ્દ અનેક અર્થમાં વ્યક્ત થાય છે. (૧) જેની પાસે પર્યાપ્ત ધન હોય છતાં પણ પ્રબળ આસક્તિથી “ચમડી તૂટે પણ દમડી ન છૂટે’ એવા સ્વભાવથી દાન અને ભોગાદિકના ન્યાયસંગત અને યોગ્ય સમયે પણ ધનખર્ચ ન કરી શકે તેને કૃપણ કહેવામાં આવે છે. (૨) કૃપણ કોણ? તો શ્રુતિ કહે છે કે, यो वै एतद् अक्षरं गार्गी अविदित्वा अस्माल्लोकात् प्रैति सः कृपणः । હે ગાર્ગી આ લોકોમાં આવીને એ અક્ષર તત્ત્વના જ્ઞાન વિના જ જે મૃત્યુ પામે છે તે કૃપણ છે. સૂરપ્રાર્થિત મનુષ્યદેહ પામીને જે અહં અને મમત્વના વિષયને છોડી ન શકે, સંસારના ભોગો અને મનુષ્યોમાંથી આસક્તિ છોડી ન શકે. આવા કૃપણ મનુષ્યો જીવનના ભૌતિક ખ્યાલથી કુટુંબ, સમાજ, દેશ વગેરેના પ્રેમમાં વેવલા બની સમય વેડફી દે છે અને ચામડીના હઠીલા દર્દની જેમ કૌટુંબિક જીવનમાં ચોટી રહે છે. કૃપણ માને છે કે,કુટુંબીજનોને મૃત્યુમાંથી બચાવી શકાશે અથવા કુટુંબ કે સમાજ તેને મૃત્યુના કિનારેથી ઉગારી લેશે. હલકાં પ્રાણીઓમાં જ આવો કુટુંબ પ્રેમ જોવા મળે છે. તેઓ પણ તેમનાં બચ્ચાની સંભાળ લે છે. (ભાગવતમાં આવતું હોલા અને હોલીનું આખ્યાન) ટૂંકમાં જગતપ્રપંચ છોડવામાં જે પોતાને અસમર્થ માને એને શ્રુતિ કૃપણ કહે છે. ભગવાને પણ કહ્યું છે કે,कृपणाः फल हेतवः। વિવિધ વિષયરૂ૫ ફલાસક્તિ છોડી નથી શકતા તે કૃપણ છે. (૩) સામાન્યતઃદીન સ્વભાવનો વાચક પણ કૃપણ છે. કૃપણ એટલેકે બિચારો.

અહીં અર્જુનમાં જે કાર્પણ્ય છે. એ લોભજનિત કંજૂસાઈ નથી કારણ કે, તેનો સ્વભાવ અત્યંત ઉદાર હતો. વળી વિષયાસક્તિરૂપ કાર્પણ્યતા પણ તેમાં ન હતી. કારણ કે તે પોતે જ કહે છેકે,’किं नो राज्येन गोविंद किं भौगेर्जीवितेन वा’ માટે અર્જુનની કૃપણતા એ સંબંધીઓની મમતા અને તેના યોગે આવેલી કાયરતારૂપ હતી. અર્જુન આદર્શ ક્ષત્રિય છે તે સ્વાભાવિક શૂરવીર છે. તેની પ્રકૃતિ ઉગ્ર ક્ષત્રિય પ્રકૃતિ છે; પરંતુ અત્યારે એકમાત્ર સંબંધીની મમતાને લઈને અર્જુનનો અતુલનીય શૌર્ય, ધૈર્ય, વીર્ય, પરાક્રમાદિકથી સંપન્ન સ્વભાવ નષ્ટપ્રાય થઈ રહ્યો છે. મહા શૂરવીર અર્જુન અત્યારે ઊભો રહેવા સમર્થ રહ્યો નથી. ગાંડીવ તેના હાથમાંથી સરી પડ્યું છે. આમ કાયરતા રૂપી દોષે તેના સ્વભાવને ખંડિત કરી નાખ્યો છે.

અર્જુન ઉપહત સ્વભાવ થયો છે. ઉપહિત અને ઉપહત શબ્દમાં ફેર છે. ઉપહિત એટલે ઢંકાયેલું-ઉપાધિની અસર નીચે આવેલું. જ્યારે ઉપહત એટલે ખંડિત થયેલું ઘાયલ થયેલું. સ્વરૂ૫ ઉપહિત થાય છે અને સ્વભાવ ઉપહત થાય છે. ઉપહત સ્વભાવથી આ સમયે અર્જુન ભયાનક ધર્મસંકટમાં પડ્યો છે. બુદ્ધિમાન અર્જુન, સમજતો હતો કે તેની કુટુંબપ્રીતિ અને કુટુંબીજનોને મરણમાંથી બચાવી લેવાની તેની ઈચ્છા તેની મૂંઝવણોનાં કારણ હતાં.

એક બાજુ ક્ષાત્રધર્મની ફરજ, પ્રજાપાલન વગેરે દૃષ્ટિએ યુદ્ધ કરવું એ તેનો ધર્મ છે. બીજી બાજુ ભીષ્મ દ્રોણાદિની પ્રત્યે પૂજ્યતા-ભક્તિભાવ તેને લઈ સંન્યાસ-ભિક્ષાવૃત્તિ અને વનવાસ તરફ પ્રવૃત્તિ તેને ઉચિત લાગે છે. ચિત્ત એવું કરુણાથી આવિષ્ટ થયું છે કે પોતાની બુદ્ધિ નિશ્ચિત નિર્ણય પર અત્યારે પહોંચી શકે તેમ નથી તેથી તે કિંકર્તવ્ય વિમૂઢ બન્યો છે. તેથી જ પોતે કહે છે કે धर्मसम्मूढचेताः त्वां पृच्छामि ।

જ્યારે પોતાનો માર્ગ ન સૂઝે, પોતાની બુદ્ધિભ્રમમાં હોય ત્યારે બીજાને પૂછી લેવું જોઈએ તો મનુષ્ય વધુ ભ્રમમાં પડતો નથી. અર્જુન અત્યારે એવી પરિસ્થિતિમાં આવ્યો છે. આપણે ઈચ્છતા નથી તો પણ મૂંઝવણો પ્રગટે છે. આપણે મૂંઝાઈએ છીએ. માટે જ વેદ જાણનારાઓ આપણને જીવનની મૂંઝવણોના ઉકેલની રીત સમજવા માટે અને તેના નિરાકરણ માટે પરંપરાના સદ્ગુરુ પાસે જવાનું કહે છે. આવા ગુરુસ્સેવનથી મનુષ્યને સઘળી બાબતોનું સાચું જ્ઞાન થાય છે. માટે મનુષ્યે દુન્યવી મૂંઝવણોમાં ન રહેતાં સદ્ગુરુ પાસે પહોંચી જવું જોઈએ. અર્જુન પણ આ વિચાર કરીને પોતાની અસમર્થતા પ્રકટ કરીને ભગવાનની પ્રાર્થના કરે છે કે-

यच्छ्रेयः स्यान्निश्चितं ब्रूहि तन्मे – જેકેવળ શ્રેય હોય જે પ્રેય ન હોય તેનો નિર્ણય કરીને મને કહો. અર્જુનને પોતાની ભૂલ દેખાણી છે. અત્યાર સુધી તે વિવેકની વાતો કરી રહ્યો હતો પણ હવે તેનું વિવેકીપણાનું અભિમાન ચાલ્યું ગયું છે. તેમને એમ થયું છે કે હું કંઈક ભૂલ કરું છું. તેથી જ તે કહે છે કે, पृच्छामि त्वां હે ભગવાન! હું તમને પૂછું છું. પોતાને જ્ઞાની માનવો એ એક જાતનું અજ્ઞાન છે, કારણ કે જ્ઞાનીપણાનું અભિમાન એ અજ્ઞાનનું પરિણામ છે. અજ્ઞાનમાંથી જ અભિમાન ઉદ્ભવે છે. સાચું જ્ઞાન તો અભિમાનનું નિવર્તક થાય છે. અભિમાન એ આસુરી સંપત્તિ છે. ઽઃ તેથી અભિમાન કરવું એ આસુરી ભાવ છે; પરંતુ થોડુંકમાન હોવું એ દૈવી સંપત્તિ છે तेजः क्षमाधृतिः शौचं अद्रोहो नातिमानिता। થોડું આત્મગૌરવ રાખવું. જેથી વ્યવહારમાં અધર્મમાં લપસી ન પડાય. પરમાર્થ સ્થિતિમાં માન સર્વથા દૂર થાય છે. માટે પોતાને સંપૂર્ણ જ્ઞાની માનવો નહિ. તેથી જ તો અર્જુન આ મૂંઝવણના સમયે ભગવાન શ્રીકૃષ્ણને પૂછે છે. સામાન્ય રીતે મનુષ્યો પોતાના મનથી સંમોહિત જ હોય છે. મનથી વિરુદ્ધ વાત પ્રથમ તો સાંભળવા જ માગતા હોતા નથી અને પરિસ્થિતિવશ સાંભળે તો પણ તેને સ્વીકારવા તૈયાર હોતા નથી; પરંતુ ધીર પુરુષોએ વિવેક કરવો જોઈએ. શ્રેયની વાત મીઠી હોતી નથી. કડવી હોય છે. જ્યારે પ્રેયની વાત મીઠી હોય છે. તેથી અર્જુન ભગવાનને કહે છે કે, મને પ્રિય લાગે કે ન લાગે પણ જેમાં મારું કલ્યાણ હોય તે કહો. તે પણ निश्चितं ब्रूहि तन्मे, શાસ્ત્ર, સદ્‌ગુરુઓ અને સ્વાનુભવથી નિશ્ચિત કરીને કહો. ડોકટરો દર્દી ઉપર પ્રયોગો કરતા હોય છે. એવા પ્રયોગો ન કરો. લોકો મોટે ભાગે ‘આમ થઈ શકે, આવો સંભવ છે.’ આવું કહેતા હોય છે. જ્યારે પોતાને નિશ્ચય ન હોય ત્યારે બીજાનો સંશય તે કેમ દૂર કરી શકે ? માટે તમે મને નિશ્ચિત કહો. શ્રીકૃષ્ણ કહે છે કે, હું તો સામાન્યતઃ બધાના ભલાનો માર્ગ બતાવી દઉં. જેમાં બધાનું ભલું થાય તેમાં તારું પણ ભલું થાય. તો અર્જુનને એવી વાત સ્વીકાર્ય નથી. અર્જુન કહે છે કે मे ब्रूहि મારું જેમાં કલ્યાણ હોય એવી વાત કહો. પંચાયતી જ્ઞાનની મારે જરૂર નથી.

એક બીજો વિચાર એ પણ છે કે, અર્જુનના હૃદયમાં અત્યારે હલચલ મચી ગઈ છે અને તે પોતાના કલ્યાણની વાત પૂછે છે. તેથી એ સિદ્ધ થાય છે કે, મનુષ્ય જે સ્થિતિમાં હોય તેમાં જો તેને સંતોષ હોય ત્યાં સુધી પોતાના અસલી ઉદ્દેશની જાગૃતિ થતી નથી. કલ્યાણ માટેની જાગૃતિ ત્યારે જ થાય કે એને વર્તમાન સ્થિતિમાં અસંતોષ લાગે. કલ્યાણના માર્ગમાં અતિ સંતોષ એ એક જાતનું વિઘ્ન છે. અર્જુન અહીં પોતાની વર્તમાન સ્થિતિથી અસંતોષ અનુભવે છે. તેથી ભગવાનને પ્રાર્થના કરે છે કે, મને કલ્યાણની વાત કહો. શ્રીકૃષ્ણ કહે છે, હું તને કલ્યાણની વાત શા માટે કહું ? તેના ઉત્તરમાં અર્જુન કહે છે કે..

शिष्यस्तेऽहं... હે મહારાજ ! હું આપનો શિષ્ય છું. આ સાંભળીને માની લો કે, ભગવાન શ્રીકૃષ્ણ એમ કહે છે કે, અમે કંઈ જેને તેને થોડા શીખવીએ ? તેથી અર્જુન કહે છે કે शिष्यस्तेऽहं હું જે તે નથી; પરંતુ તમારો શિષ્ય છું. અર્જુનના મનમાં પણ આ જ સાર પેદા થયો કે, કલ્યાણની વાત ગુરુને પૂછી શકાય છે. સારથિને નહિ. તેથી અર્જુનના મનમાં જે રથીપણાનો ભાવ હતો અને આજ્ઞા કરતો હતો કે सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेडच्युत। એ ભાવ અત્યારે અસ્ત પામે છે. અર્જુન ભગવાનનો શિષ્ય થાય છે અને કહે છે કે હે ભગવાન ! હું આપનો શિષ્ય છું.

शाधि माम्‌ મારું શાસન કરો.शास्‌ ધાતુથી શિષ્ય શબ્દ બન્યો છે. કોઈને દંડ દેવો તે તેનું શાસન નથી; પરંતુ જે ક્રિયાથી તેનું ભલું થાય તેનું નામ શાસન છે. શિષ્ય બનાવવા માટેનો પ્રયત્ન કરાય તેનું નામ શાસન છે. માટે અર્જુન કહે છે કે, शाधि माम्‌ હે પ્રભુ ! મને શિક્ષા આપો. જો હું યોગ્ય માર્ગ પર ન હોઉં તો દંડ દઈને પણ મને ઠીક માર્ગ પર લાવો. આ પ્રમાણે જ્યારે અર્જુને પોતાનું શાસન ભગવાનને સોંપ્યું પણ એ શાસન ભગવાન કદાચને સ્વીકારે અથવા ન પણ સ્વીકારે. જો ન સ્વીકારે તો પછી શિક્ષા કયાંથી આપે ? ભગવાન કહેશે કે હું તને શા માટે શિક્ષા આપું ? શા માટે માર્ગ બતાવું ? મારે તો જેમ બીજા એમ તું. ત્યારે અર્જુન કહે કે, ના મહારાજ त्वां प्रपन्नम्‌ હું તમારે શરણે છું. ગુરુ તો ઉપદેશ દઈ દેશે. જે માર્ગનું જ્ઞાન નથી, તેનું જ્ઞાન કરાવશે. માર્ગ પર તો શિષ્યને જ સ્વયં ચાલવું પડશે. પોતાનું કલ્યાણ તો શિષ્યને જ કરવું પડશે. અર્જુન વિચારે છે કે હું એવું ઈચ્છતો નથી કે, ભગવાન ઉપદેશ આપે અને હું તેનું અનુષ્ઠાન કરું અને મારા ઉપર મારા કલ્યાણની જવાબદારી આવે માટે આ વાત શ્રીકૃષ્ણ ઉપર શા માટે ન છોડી દઉં ? શાસ્ત્રમાં તેનો માર્ગ પણ બતાવ્યો છે અને તે એક માત્ર શરણાગતિ છે. જેમ કેવળ માના દૂધ પર રહેનારું બાળક બીમાર થાય તો તેની બીમારી દૂર કરવા માટે ઔષધિ માને ખાવી પડે છે. બાળકને નહિ, એમ હું સર્વથા શરણે થઈ જાઉં તો કલ્યાણની જવાબદારી ભગવાનની રહેશે, મારી નહિ.

અહીં અર્જુન त्वां प्रपन्नम्‌ તમારે શરણે છું. એવી વાત તો કહે છે પણ વાસ્તવમાં તે શરણે થયો નથી કારણ કે, શરણે થયા પછી शाधि माम्‌ એ કહેવાનું રહેતું નથી. બીજી વાત એ છે કે નવમા શ્લોકમાં વળી અર્જુન કહે છે કે, ન योत्स्ये હું યુદ્ધ નહિ કરું. એ શરણાગતિ વિરુદ્ધ છે. શરણાગત થયા પછી ‘હું યુદ્ધ નહીં કરું અથવા કરીશ.’ શું કરીશ ને શું નહિ કરું એવી કોઈ વાત ઊભી રહેતી નથી અને કોઈ નક્કી જ નથી કે શરણ્ય શું કરાવશે ને શું નહિ કરાવે. એક જ વાત છે કે, શરણ્ય જે કરાવશે તે હું કરીશ અને અર્જુનની આ ખામી દૂર કરવા માટે ભગવાનને આગળ કહેવું પડયું છે કે मामेकं शरणं व्रज અને ત્યારે અર્જુને કહ્યું કે करिष्ये वचनं तव વાસ્તવિક શરણાગતિ ત્યારે આવેલી છે. અત્યારે નહિ.

આ શ્લોકમાં ચાર વાતો કહી છે. (૧) कार्पण्य दोषो… (૨) यच्छ्रेय: स्यात्‌... (૩)शिष्यस्तेऽहं…  (૪) शाधि माम्‌...  પહેલી વાત અર્જુને ધર્મ માટે પૂછી છે. બીજી વાત કલ્યાણ માટે પ્રાર્થના કરી છે. ત્રીજી વાતમાં શિષ્ય થયો છે અને ચોથી વાતમાં શરણાગત થયો છે. આ ચારે વાતનો વિચાર કરવામાં આવે તો પહેલી વાતમાં મનુષ્ય જેને પૂછે છે તે કહેવામાં અથવા ન કહેવામાં સ્વતંત્ર હોય પણ જ્યારે પ્રાર્થના કરે ત્યારે તેને કહેવું એ એમની ફરજ બની રહે છે અને જ્યારે શિષ્ય થાય ત્યારે તો તેમને સાચો માર્ગ બતાવવો એ ગુરુની જવાબદારી આવી પડે છે અને જ્યારે શરણાગત થાય ત્યારે તેમનો ઉદ્ધાર અવશ્ય કરવો પડે છે.

ગીતાનો આ શ્લોક અતિ મહત્ત્વનો છે. અર્જુનના જીવનમાં સમર્પણની આ ધન્ય ઘડી છે. અર્જુને ભક્તિપૂર્ણ અંતઃકરણથી શિષ્યત્વ સ્વીકાર્યું છે. હવા વહેવા લાગે તો આપણે તેને પવન કહીએ છીએ. વાદળાં વરસવા લાગે તો આપણે તેને વરસાદ કહીએ છીએ. તેમ આત્યંતિક પ્રેમ વહેવા લાગે એને ભક્તિ કહેવાય. અત્યારે અર્જુનનો પ્રેમ શ્રીકૃષ્ણ તરફ વહેવા લાગ્યો છે. તેથી જ તો ભગવાન કહે છે કે, भक्तोसि मे सखा चेति… તેથી જ આ સંવાદથી ગીતાનો એક જુદો વળાંક આવ્યો છે. शिष्यस्तेऽहं આ એક જ શબ્દ ન હોત તો ગીતા અહીં પૂરી થઈ જાત. વળી અર્જુને કલ્યાણનો માર્ગ પૂછયો છે. અર્જુન કહે છે કે, મને પ્રેયનું આકર્ષણ નથી. મને શ્રેયનો માર્ગ દેખાડો. શ્રેય એટલે પારલૌકિક કલ્યાણ. આ એક જ વાતમાં અર્જુને અનેક પ્રશ્નો આવરી લીધા છે. તેથી જ ભગવાનને ગીતામાં આત્મા-અનાત્મા, કર્મયોગ-ભક્તિયોગ, દેહનું ક્ષણિકત્વ-આત્માનું ચિરંજીવીત્વ આ બધાની ચર્ચા કરવી પડી છે. લોકો કહે છે કે, ભગવાને ગીતામાં અર્જુનના પ્રશ્ન ઉપરાંત બિનજરૂરી ચર્ચા કરી છે પણ લોકોના મનમાં બરાબર ધ્યાનમાં આવ્યું નથી કે, અર્જુન પ્રશ્નાર્થી નથી. શિષ્ય બન્યો છે. શ્રેયાર્થી બન્યો છે. શ્રીકૃષ્ણે અર્જુનના કલ્યાણની જવાબદારી લીધી છે.

પૂર્વ શ્લોકમાં અર્જુન ભગવાનનો શરણાગત થઈ તો ગયો છે; પરંતુ મનમાં ડર લાગ્યો કે, ભગવાન મને હમણાં જ કહેશે કે તું યુદ્ધ કર અને યુદ્ધ તો મને ધર્મયુક્ત લાગતું નથી માટે કરવું નથી. વળી અર્જુન વિચારે છે કે, ભગવાન એમ વિચારતા હશે કે અર્જુન યુદ્ધ કરશે. વિજય થશે, રાજ્ય મળશે અને અર્જુનના ચિંતા શોક ટળી જશે; પરંતુ એ શકય નથી. અર્જુન મોહગ્રસ્ત મનથી આવા વિચારો કરી રહ્યો છે કે, માટે હું અગાઉથી જ ભગવાનને વાત કરી દઉં તો યુદ્ધની ભગવાન આજ્ઞા ન આપે. વળી આમ પણ હોઈ શકે-અર્જુન વિચારે છે કે, હું ભગવાનને શરણે થયો છું. માટે હૃદયના ઊંડાણમાં પડેલા તમામ ભાવો ભગવાન પાસે નિષ્કપટપણે રજૂ કરી દેવા જોઈએ અને તો જ તેનો યથાર્થ ઉપાય કરી શકે માટે ભગવાન પાસે રજૂઆત કરે છે કે…

न हि प्रपश्यामि ममापनुद्याद्‌यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम्‌।
अवाप्य भूमावसपत्नमृद्धं राज्यं सुराणामपि चाधिपत्यम्‌।।८।।

અર્થઃ કેમ કે પૃથ્વીનું નિષ્કંટક અને ધનધાન્યથી સંપન્ન રાજ્ય તેમજ દેવતાઓનું આધિપત્ય પામીને પણ હું એવો ઉપાય નથી જોતો, જે મારી ઈન્દ્રિયોને સૂકવનારા શોકને નિવારી શકે.

अवाप्य भूमावसपत्नमृद्धम्‌ પૃથ્વી ઉપરનું રાજ્ય શત્રુઓથી ભરેલું હોય છે. કદાચ તે શત્રુ રહિત રાજ્ય મળે અને સંપત્તિહીન હોય તો પણ નકામું છે પણ કદાચને સંપત્તિથી ભરપૂર રાજ્ય મળે, અરે ! પૃથ્વીનું રાજ્ય તો શું? પણ દેવતાઓનું રાજ્ય એટલે કે ઈન્દ્રનું આધિપત્ય પ્રાપ્ત થાય તો પણ મારો શોક દૂર નહિ થાય. આ શોક કેવો છે ? તો ઈન્દ્રિયોને પણ શોષણ કરનારો છે.

સંજય બોલ્યા

एवमुक्त्वा हृषीकेशं गुडाकेश: परंतप।
न योत्स्य इति गोविन्दमुक्त्वा तूष्णीं बभूव ह।।९।।

અર્થઃ હે રાજા, નિદ્રાને જીતનારા અજર્ુન અંતર્યામી શ્રીકૃષ્ણ મહારાજ પ્રત્યે આમ કહીને પછી શ્રી ગોવિંદ ભગવાનને ‘યુદ્ધ નહીં કરું’ એમ સ્પષ્ટ કહીને ચુપ થઈ ગયા.

एवमुक्त्वा અર્થાત્‌ कथं भीष्ममहं संख्ये (૨/૪) થી લઈને राज्यं सुराणामपि चाधिपत्यं  (૨/૮) સુધીની વાત કહીને न योत्स्ये હું યુદ્ધ નહિ કરું, એમ કહીને અર્જુન ચૂપ થઈ ગયો. અર્જુન લડવાનો ન હતો અને ભિક્ષાવૃત્તિ અર્થે યુદ્ધ ભૂમિ છોડવાનો હતો. એ જાણી ધૃતરાષ્ટ્ર ખૂબ રાજી થયા હશે પણ સંજયે અહીં તેમના બે વિશેષણો મૂકયા છે. અર્જુન પોતાના શત્રુઓને હણવામાં સમર્થ છે. गुडाकेश: गुडाकाया: ईश: निद्राजित અર્જુન ઈન્દ્રિયજીત છે અને ઈન્દ્રિયજીતનો જ વિજય થાય છે. એમ કહીને સંજયે ધૃતરાષ્ટ્રનો આનંદ દૂર કર્યો ને ફરી નિરાશામાં ડૂબાડ્યો. વળી થોડા વખત માટે કુટુંબપ્રેમને લીધે ઉત્પન્ન થયેલા જૂઠા મોહમાં ડૂબ્યો; છતાં શિષ્ય તરીકે સર્વોચ્ચ ગુરુ શ્રીકૃષ્ણને શરણે ગયો છે. જે શ્રીકૃષ્ણ કોણ છે ? હૃષિકેશ છે हृषीकाणां ईश: ઈન્દ્રિયોના સંચાલક છે. પ્રાણ શક્તિઓના નિયંતા છે. સર્વશક્તિમાન છે. પોતાના વિચારો અનુસાર કામ લેવા સમર્થ છે. તેથી અર્જુન પાસેથી જે ઈચ્છશે તે કામ લઈ શકશે. બીજું નામ છે ગોવિંદ અર્થાત્‌વેદવાણીના પ્રવકતા, વેદોના પ્રતિપાદક, સર્વજ્ઞ તેથી જે ઈચ્છશે તે સમજાવી શકશે.

આમ કહી સંજયે ધૃતરાષ્ટ્રના આનંદના મિનારા તોડી નાખ્યા છે.

तमुवाच हृषीकेश: प्रहसन्निव भारत।
सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वच:।।१०।।

અર્થઃ હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર ! બન્ને સેનાઓના મધ્યે જ આ પ્રમાણે ખેદ પામતા તે અર્જુન પ્રત્યે હૃષીકેશ-ભગવાન મલકતા હોય જ આ વચન બોલ્યા.

હે ધૃતરાષ્ટ્ર ! અહીં ધૃતરાષ્ટ્રને માટે ભારત સંબોધન થયું છે. કારણ કે, તે ભરતના વંશમાં જન્મ્યા છે; પરંતુ જ્યાં અર્જુનને ભારત સંબોધન કરાયું છે ત્યાં કેવળ વંશના સંબંધથી નથી પરંતુ વંશ ઉપરાંત પ્રતિભાના સંબંધથી પણ તે ભારત કહેવાયો છે. આ બન્નેના સંબોધન વચ્ચે તફાવત છે.

અર્જુન શૂરવીરતા અને ઉત્સાહપૂર્વક યોદ્ધાઓને જોવા બન્ને સેના વચ્ચે રથ રાખવા ભગવાનને કહ્યું હતું અને ત્યાં આવીને વિષાદમગ્ન બની ગયો. ખરેખર જે ઉદ્દેશથી આવ્યો હતો તે ઉદ્દેશ માટે કટિબદ્ધ થઈ જવું જોઈએ પણ ચિંતા અને શોકમાં ફસાઈ ગયો છે. ભગવાન તેને ઉપદેશ આપવાનો પ્રારંભ કરે છે.

प्रहसन्निव ભગવાન હસ્યા, શા માટે ? અર્જુનનો ભાવ પલટો જોઈ અને ભગવાન હસ્યા. શૂરવીરતાને સ્થાને કાયરતા આવી ગઈ તે જોઈને ભગવાન હસ્યા. બીજી વાત અર્જુને પ્રથમ કહ્યું કે, હું તમારે શરણે છું. આપ મને ઉપદેશ આપો અને સાથે સાથે નિવેદન કર્યું કે હું યુદ્ધ નહિ કરું. ભગવાન તેની આ માનસિક બેડોળ સ્થિતિ જોઈને હસ્યા. प्रहसन्निव-इव નું તાત્પર્ય એ છે કે જોરથી હાસ્ય આવવા છતાં ભગવાન મંદમંદ હસીને જ બોલવા લાગ્યા છે. ભગવાન હસ્યા એ ભગવાનની ભગવત્તા બતાવે છે. ભગવાને પ્રથમ શંખ વગાડીને પાંડવ સેનાનું નેતૃત્વ-ચિંતા પોતે સ્વીકારી છે. એ સેનાનો મુખ્ય યોદ્ધો કે જેના પર આખા યુદ્ધનો આધાર છે, તે ભાંગી પડયો છે. યુદ્ધ કરવા જ તૈયાર નથી. આવી ભયાનક પરિસ્થિતિ પણ ભગવાનને વિચલિત નથી કરી શકી. આવા વિષમ સમયે પણ ભગવાનના મુખ ઉપર હાસ્ય ફરકી ઊઠયું છે. प्रहसन्निव भारत।। હવે બીજા અધ્યાયના ૧૧મા શ્લોકથી ગીતાનો ઉપદેશ શરૂ થાય છે. અલંકાર શાસ્ત્રોમાં ઉપદેશોના ત્રણ પ્રકાણ કરવામાં આવ્યા છે. (૧)प्रभुसंमित ઉપદેશ (૨) सुहृदसंमित ઉપદેશ (૩) कान्तासंमित ઉપદેશ.

(૧)प्रभुसंमित ઉપદેશઃ સ્વામી પોતાના ભૃત્યોને કેવળ આજ્ઞા આપે છે કે, અમુક કાર્ય કરો. કયારેક પોતાની ઈચ્છા હોય તો કાર્યના ફળ અને ઉછેરની વાત કરે; પરંતુ બધી જગ્યાએ બતાવવાની જરૂર નહિ અને કિંકરોને તે સંબંધી પૂછવાનો અધિકાર પણ હોતો નથી કે, આ કાર્ય શા માટે કરીએ. કેવળ સ્વામીની આજ્ઞા છે માટે કરવું જ જોઈએ. આવા ઉપદેશને પ્રભુસંમિત ઉપદેશ કહેવામાં આવે છે. વેદોનો ઉપદેશ આ પ્રકારનો મનાય છે. જ્યાં કેવળ આજ્ઞા જ હોય છે કે ‘‘પ્રતિદિન સંધ્યા કરો, સાંજ સવાર અગ્નિહોત્ર કરો.’’ સ્મૃતિ ગ્રંથોમાં પણ જે આચારસંહિતાઓ છે તે આ પ્રકારનો ઉપદેશ છે.

(૨) मित्रसंमित ઉપદેશ એક મિત્ર બીજા મિત્રને ઉપદેશ આપે છે. એમાં આજ્ઞાની પ્રધાનતા હોતી નથી; પરંતુ હિતાહિત કે કાર્યકારણભાવ બતાવીને કર્તવ્ય માટેના ગુણદોષ બતાવાય છે. પછી શ્રોતા પોતાના કર્તવ્ય માર્ગમાં જાતે જ નિશ્ચય કરી લે છે. પુરાણ અને ઈતિહાસો આ પ્રકારનો ઉપદેશ આપે છે. તે પ્રાચીન ઘટનાઓને શ્રોતા સામે રજૂ કરી અને બતાવી દે છે કે, આ સત્ય માર્ગ છે. તેનું ફળ આવું છે. આ અસત્ય માર્ગ છે. તેનું ફળ આવું ખરાબ છે. જેમ કે સંપૂર્ણ રામાયણ સાંભળીને-यान्ति न्यायप्रवृत्तस्य तीर्यञ्चोपि सहायताम्‌। अपन्थानं तु गच्छन्तं सोदरोऽपि विमुञ्चति।। આનાથી ન્યાય માર્ગ પર ચાલવાનો ઉપદેશ મળે છે. આ ઉપદેશ પદ્ધતિ પ્રથમ કરતાં ખૂબ જ વ્યાપક અને પ્રશંસનીય છે. આનાથી ઘણા ઉદ્ધત અને કુકર્મીઓ પણ સદ્‌રસ્તે વળી રહે છે.

(૩) कान्तासंमित ઉપદેશ ઉપરના બન્ને કરતાં વ્યાપક અને સુકુમાર ઉપદેશ પ્રકાર આ કાન્તાસંમિત ઉપદેશને માનવામાં આવ્યો છે. પોતાની અત્યંત પ્રેયસી સતિ સાધ્વી સ્ત્રી પોતાના પતિને અતિ વહાલથી મનરંજન કરતી થકી કર્તવ્ય અકર્તવ્યનો સંકેત આપતી હોય છે. જેમાં એની રીત ખૂબ જ સુકુમાર હોય છે અને રસભરી હોય છે. પ્રેમના બંધનવાળી હોય છે. કાવ્ય તથા નાટકો દ્વારા આ પ્રકારનો ઉપદેશ દેવામાં આવે છે. ઉપદેશના નામથી પણ ચિડાતા એવા મનુષ્યોને પણ મનોવિનોદ કરીને, આનંદ પમાડીને સદ્‌રસ્તે આ પ્રકારનો ઉપદેશ દોરે છે.

ગીતાનો ઉપદેશ બીજા પ્રકારનો ઉપદેશ છે. હૃષિકેશ અને ગુડાકેશ વચ્ચે ચાલતો આ સંવાદ છે. બન્ને ગાઢ મિત્રો છે. બેઉ મિત્ર તરીકે સમકક્ષ હતા પણ એક સ્વેચ્છાએ બીજાનો શિષ્ય થયો છે. અર્જુને પ્રાર્થના કરતાં જ કૃષ્ણે ગુરુપદ ધારણ કર્યું અને પૂરા ગાંભીર્યથી વાતની શરૂઆત કરી છે.

અર્જુન શોકાવિષ્ટ થયો છે. મનુષ્યને શોક ત્યારે થાય છે કે જ્યારે સંસારના પ્રાણી પદાર્થોમાં આ મારું છે અને આ મારું નથી એવો પોતાના કે પરાયાનો વિભાગ કરે છે. મમતા થયા પછી આસક્તિ થાય છે અને આસક્તિથી ચિંતા, ભય, ઉદ્વેગ, સંતાપ આદિક દોષ પેદા થાય છે અને એવો કોઈપણ દોષ નથી કે જે આસક્તિમાંથી ઉત્પન્ન થતો ન હોય. એ સિદ્ધાંત વાત છે. ધૃતરાષ્ટ્રની દૃષ્ટિમાં પણ પોતાનું-પરાયું જ હતું ત્યાર પછી અર્જુનને પણ સ્વજનોનો મોહ જાગ્યો છે. જો કે તેની કક્ષા ધૃતરાષ્ટ્રની સમાન નથી છતાં પણ મોહ તે મોહ જ છે. તે ગુણ થઈ શકતો જ નથી. તેથી તેને પોતાના કુટુંબીઓના મરવાનો શોક થઈ રહ્યો છે. ભગવાન તેને ગીતાનો ઉપદેશ આપીને છેવટે કહે છે કે, सर्वधर्मान्‌.. मा शुच:। તું સર્વ પ્રકારે મારો આશ્રય લે. કારણ કે, સંસારનો આશ્રય લેવાથી જ શોક થાય છે ને મારો આશ્રય લેવાથી જ શોક સંતાપ ટળી જશે.

ઘા લાગે તો દવા લગાડીને, સંબંધી રિસાય તો સમજાવીને, સમાધાન કરવામાં આવે છે. પણ માનસિક પીડામાં શું કરશો ? તેમાં થોડી દવા ખવાશે ? શોક અને મોહ એ સ્વજનોનો વિયોગ નથી, તેઓનું મરણ નથી, ધનનું હરણ નથી. તો પછી શોક અને મોહ શું છે ? તો તે કેવળ માનસિક આકૃતિઓ છે. માનસિક વિકૃતિઓ છે. એનું પરિવર્તન કરવા માટે ઔષધ ખાવાની જરૂર નથી. કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. તે જ્ઞાને કરીને નાશ પામે છે. તેની ટેબલેટ બુદ્ધિને પીવડાવવી પડે છે અને તે કર્તવ્ય એવા કર્મયોગનું જ્ઞાન, માહાત્મ્યે સહિત ભક્તિયોગનું જ્ઞાન અને યથાર્થ આત્માનું જ્ઞાન, તેનાથી નાશ પામે છે.

ઉપનિષદોમાં કહ્યું છે કે श्रूतमेतत्‌भगवदृशेभ्य: ऋषिभ्य: तरति शोकं आत्मवित इति। सोअहं भगवान शोचामी तं मां भगवान शोकस्य पारं तारयतु। આત્મવિત્‌પુરુષો શોક તરી જાય છે. એમ ઉપનિષદો કહે છે. અર્જુન પણ અહીં શોકાવિષ્ટ થયેલો છે. તેના આ શોકની નિવૃત્તિને માટે ભગવાન પણ અહીંથી જ્ઞાનોપદેશની શરૂઆત કરે છે.

सुखस्य दु:खस्य न कोऽपि दाता परो ददातीति कुबुद्धिरेषा।

अहं करोमीति वृथाभिमान: स्वकर्म सूत्रग्रथितो हि लोक